Add parallel Print Page Options

નિર્દેશક માટે. રાગ “વિનાશ કરતો નહિ” દાઉદનું મિખ્તામ.

ઓ ન્યાયાધીશો, શું ખરેખર જે ન્યાય છે તે તમે બોલો છો?
    શું ખરેખર તમે લોકોનો નિષ્પક્ષપણે ન્યાય કરો છો?
ના, તમે કેવળ દુષ્ટતા કરવાના વિચાર કરો છે;
    તમારા હાથે જ તમે પૃથ્વી પર હિંસા થાય તેવું કરો છો.
દુષ્ટ માણસો જન્મથી જ ખોટા માર્ગે વળે છે;
    ત્યારથી જ દેવથી દૂર થાય છે, ને અસત્ય બોલે છે.
તેઓનું વિષ સાપના વિષ જેવું છે,
    તેઓ તેમનાં કાન બંધ રાખે છે, તેઓ બહેરા સાપ જેવા છે.
ગારુડી અતિ કુશળતાથી મહવર વગાડે છે,
    છતાંય તેનો સાદ સંભળાતો નથી.

હે દેવ, તમે તેઓના દાંત તોડી નાંખો;
    હે યહોવા, તમે યુવાન સિંહોની દાઢો તોડી પાડો.
સૂકી ધરતી પર જેમ પાણી ચૂસાઇ જાય તેમ તેમને અદ્રશ્ય થવા દો;
    સુકાયેલા ઘાસની જેમ તેઓને કચડાઇ અને ચગદાઇ જવા દો.
તમે તેઓને કાદવમાં ઓગળતી જતી ગોકળગાય જેવા,
    અને જેણે સૂર્ય કદી જોયો નથી તેવા સમય પહેલા જન્મેલા મૃતબાળકના જેવા કરો.
તમારા હાંલ્લાંને કાંટાનો તાપ લાગે તે પહેલાં,
    પછી તે લીલા હોય કે સૂકા,
તો પણ, વંટોળિયો પળવારમાં ઘસડીને લઇ જશે તેમ તેનાથી
    પણ વધુ ઝડપે યુવાન અને વૃદ્ધનો નાશ થાઓ.

10 દુષ્ટ લોકોએ તેના તરફ કરેલાં દુષ્ટ કાર્યો માટે
    તેને શિક્ષા થતી જોઇને સજ્જન વ્યકિતને આનંદ થશે,
તે એક સૈનિક જેવો થશે,
    જેણે તેનાં શત્રુઓને હરાવ્યાં છે.[a]
11 માટે લોકો કહેશે કે, ન્યાયીજનને અવશ્ય બદલો મળે છે,
    સંસારમાં ખરેખર ન્યાય કરનાર દેવ છે.

Footnotes

  1. 58:10 તે એક … હરાવ્યા છે મૂળ પ્રમાણે, “તે તેનો પગ દુષ્ટ માણસોના લોહીથી ધોસે.”